તમે જ તેને મળ્યાં હોત તો??

10 05 2007

att1392284.jpg

હું નથી માનતો શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીને કોઇ ન ઓળખતું હોય… એમણે ગુજરાતી સાહિત્યમાં અને ખાસ તો લોકો સુધી પ્રેરક વાંચન પહોંચાડવામાં જે યોગદાન “મિલાપ” સામયિક દ્વારા અને ત્યાર પછી તેમાંથી વીણેલાં લેખોને સંકલિત કરી ને બનાવેલ પુસ્તકો “અર્ધી સદીની વાંચનયાત્રા” ભાગ ૧,૨ અને ૩ દ્વારા આપ્યું છે તે ખરેખર અવિસ્મરણીય છે… અને તેનાં માટે એમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો પડે…

“અર્ધી સદીની વાંચનયાત્રા ભાગ-૧” માં પાનું ક્રમાંક ૫ પર એક ખુબ સુંદર વાત શ્રી સુમંત દેસાઈ દ્વારા લિખિત મુકવામાં આવી છે…. અને મને થયું કે એ જરૂર જીવન પુષ્પ માટે એક પાંખડી બની રહેશે… તો પુસ્તકમાં આપેલાં જ શબ્દો અહીં મૂકું છું…

તમે જ તેને મળ્યાં હોત તો??

નાનકડી એક વાર્તા છે.
એક માણસનું જીવવું ઝેર થઈ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે ચડતું નહોતું. એને થયું કે આ જીવનનો અંત લાવ્યે જ છૂટકો. શહેરની વચ્ચેથી રેલવે પસાર થાય ત્યાં જઈને, ગાડી આવે ત્યારે પાટા પર પડતું મૂકવાનું તેણે નક્કી કર્યું.

પણ ઘેરથી નીકળતાં બીજો પણ એક સંકલ્પ તેણે કર્યો કે, રસ્તામાં જે માણસો મળે તેમાંથી એકાદ પણ જો એના તરફ જોઇને જરાક સ્મિત કરે, એ સ્મિત વડે એના અંતરમાં લગીર હૂંફ પ્રગટાવે, તો મરવાની યોજના પડતી મૂકીને ઘેર પાછા ફરી જવું.

……. હવે એ વાતને ત્યાં રાખીએ. એ માણસનું પછી શું થયું, તે જવા દઈએ. પણ એક સવાલ થાય છે : એ માણસ ઘેરથી નીકળ્યો પછી, રસ્તામાં કદાચ તમે જ એને સામા મળ્યા હોત તો ? – બોલો, એનું શું થાત ? ત્યાંથી ઘેર પાછા ફરવાનું કારણ તમે તેને આપી શક્યા હોત ? જરા વિચારી જોજો !

- સુમંત દેસાઈ

————————————————————————————


Actions

Information

One response

12 05 2007
સુરેશ

આ બહુ જ સરસ ગ્રંથો છે . તેનો ચોથો ભાગ પણ બહાર પડ્યો છે.

Leave a comment